સામખિયાળી પાસે જંગી-મોડપરની સીમમાં નીલગાયને ભડાકે દઈને શિકારીઓ ફરાર, માલધારી દોડ્યા તો તેમની સામે પણ બંદૂક તાકી
ભચાઉ તાલુકાના જંગી અને સીમમાં સીમમાં શિકારીઓએ નીલગાયને બંદૂકથી ભડાકે દીધા બાદ તેનું ગળું કાપી શિકારને અંજામ આપ્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. અધુરામાં પુરૂં આ શિકારીઓને શિકાર કરતા જોઇ ગયેલા માલધારીઓની સામે બંદૂક તાકી બે શિકારીઓ નાસી ગયા હતા. ભચાઉ તાલુકાના કાંઠાળ પટ્ટીમાં વિશાળ પડતર જમીન હોવાથી ત્યાં મોટી સંખ્યામાં જંગલી પક્ષી કે જાનવરો વસાવટ કરે છે ત્યારે આ વિસ્તારોમાં અગાઉ પણ શિકારની ઘટનાઓ બની ચૂકી છે પણ વન વિભાગના પેટનું પાણી પણ નથી ચાલતું તેવામાં જંગી મોડપરની સિમ વચ્ચે સાંજે પાંચ વાગ્યાંની આસપાસ એક નીલગાયને શિકારીઓએ ભડાકે દઈને ગળાનો ભાગ તિક્ષ્ણ હથિયાર વડે કાપી રહ્યા હતા.
ત્યારે બાજુમાં ઘેટાં-બકરા ચરાવી રહેલ માલધારી જોઈ જતાં શિકારીઓને આ માલધારીઓએ પડકાર ફેંકીને શિકારીઓને પકડવાની કોશિષ કરતાં બાઈક ઉપર આવેલ બે શિકારીઓએ માલધારી સામે બંદૂક તાકીને કહ્યું હતું કે જેમ રોઝને ભડાકે દીધું તેમ તમને ભડાકે દેતા વાર નહિ લાગે તેવી ધમકી આપીને નાસી ગયા હતા. ત્યાર બાદ માલધારીએ જંગી અને મોડપર ગામમાં ફોન કરતા ગામના લોકો આવ્યા હતા. પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી પણ ચાર કલાક બાદ પણ પોલીસ કે વનવિભાગ ના કોઈ અધિકારી આવ્યા ના હતા તેથી તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે.
વન વિભાગને ફક્ત મીઠાના અગરો અને પવનચક્કીની કંપનીની સેવામાં રસ છે?
ભચાઉની કાંઠાળ પટ્ટીમાં હજારો એકર પડતર જમીન પડી છે તેમાં પવનચક્કી અને મીઠાં અગરોએ કબ્જો જમાવી બેઠા છે તૈયાર જંગલ વિસ્તારમાં ધોળા દિવસે બેખોફ શિકારીઓ શિકાર કરવા આવતા હોય છે ત્યારે વનવિભાગ દ્વારા જે માણસો રાખવામાં આવ્યા છે તે ફક્ત ફળ ખાવા જ આવે છે મીઠાં અગરોની ટ્રકો નીકળે તો તેને અટકાવીને ભચાઉ થી તોડ કરવા અધિકારીઓ પહોંચી આવે છે પણ ધોળા દિવસે શિકાર થાય તે વન વિભાગ ને દેખાતું નથી તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.લોકોમાં રોષ સાથે ચર્ચાઓ સંભળાઇ હતી કે વન વિભાગને જંગલી જાનવરો કોઈ કિંમત નથી ફક્ત પવનચક્કી અને મીઠાના અગરો પાસે હપ્તા લેવામાં રસ છે.
No comments:
Post a Comment