વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો-10 વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનો મૃતદેહ વડોદરા નજીક દેણા ગામ પાસેથી મળી આવ્યો છે. તેની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધો-10 વિદ્યાર્થી અંકિત વિશાલભાઇ પ્રજાપતિ(ઉં.16) કપુરાઇ ગામની A-78, રાજનગર સોસાયટીનો રહેવાસી હતો. બુધવારે સાંજે 7:30 વાગ્યે અંકિતના મિત્રો કાર લઇને લગ્ન પ્રસંગે લઇ જવા માટે તેના ઘરે લેવા માટે આવ્યા હતા. અંકિતને તેના મિત્રને સોનાની ચેઇન આપવાની હોવાથી તેની માતા પાસેથી સોનાની ચેઇન સાથે લઇને ગયો હતો. જોકે મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે દેણા ગામ પાસે સ્થાનિકોએ લાશ જોતાં પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSL સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃતક વિદ્યાર્થીના ખિસ્સામાંથી મોબાઇલ નંબર અને ફોટો મળી આવ્યો હતો. જેથી પોલીસે જાણ કરતાં વિદ્યાર્થીનાં પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક વિદ્યાર્થીના પિતા વિશાલ પ્રજાપતિએ રડતાં રડતાં જણાવ્યું હતું કે મારો પુત્ર ધો-10માં અભ્યાસ કરતો હતો અને ગઇકાલે બુધવારે સાંજે 7:30 વાગ્યાથી ગુમ થયો હતો અને આજે સવારે દેણા ગામ પાસેથી તેનો મૃતદેહ મળ્યો હતો.મૃતક વિદ્યાર્થીના કાકાએ રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા છે. તેની હત્યા થઈ હોવાનું અમારું માનવું છે. પોલીસે તપાસ કરીને તેના હત્યારાઓને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવાની અમારી માગણી છે.મૃતક અંકિતના પરિવારમાં માતા-પિતા ઉપરાંત તેનો નાનો ભાઇ પ્રિન્સ છે. આ ઉપરાંત મોટી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા મિસ્ત્રીનું કામ કરે છે.
No comments:
Post a Comment