Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, May 23, 2021

કોરોનાથી થતાં મોતનો સાચો આંકડો છુપાવવા સરકારી હોસ્પિટલો દર્દીનાં સગાંને કેસની ફાઇલ આપતી જ નથી

 


પ્રાઇવેટ અને કોર્પોરેશનની કેટલીક હોસ્પિટલો ફાઇલો આપે છે, જ્યારે સિવિલમાં અરજી કરવાનું કહેવાય છે...

‘અમારાં સ્વજનોને આખરે શું થયું હતું? કઈ દવાઓ અપાઈ હતી? અચાનક સ્થિતિ કેવી રીતે બગડી? મોત શી રીતે થયું? આ સવાલોના જવાબ દરેક દર્દીનાં સગાં જાણવા માગે છે. બંધારણે પણ આ અધિકાર આપ્યો છે, તો સરકાર કેમ આ સત્ય બહાર આવવા દેવા માગતી નથી?’

કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવવા અમદાવાદ સિવિલ સહિત રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાંને કેસ પેપરને બદલે માત્ર ડિસ્ચાર્જ કે ડેથ કાર્ડ અપાય છે. સરકાર પહેલેથી મોર્બિડ-કોમોર્બિડના ઓઠા હેઠળ મૃત્યુઆંક ઓછો બતાવવા પ્રયાસ કરી રહી છે. કોરોનાના દર્દીને કોમોર્બિડિટી એટલે કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય, કિડની, કેન્સરની પહેલેથી બીમારી હોય અને જો મોત નીપજે તો એ કોરોનાથી થયેલાં મોતમાં ગણાતું નથી. જો દર્દી કે મૃતકનાં સગાંને કેસપેપરની વિગતો અપાય તો મોર્બિડ-કોમોર્બિડના ખેલની પોલ ખૂલી જાય, પણ દર્દીને કેસપેપર ન આપવાનો ઉપરથી જ આદેશ છે, એમ ડૉક્ટરો કહી રહ્યા છે.

કેસપેપર હોસ્પિટલ રેકોર્ડ માટે રખાય છે
સિવિલના ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે પોલિસી મુજબ દર્દીને ડિસ્ચાર્જ સમયે કેસપેપર અપાતા નથી. ફક્ત ડિસ્ચાર્જ સમરી અપાય છે. તેમાં સારવારની ટૂંકાણમાં માહિતી હોય છે. કેસપેપર હોસ્પિટલ રેકોર્ડ માટે રખાય છે. જોકે ખાનગી અને કેટલીક કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો ફાઇલો આપી રહી છે, પરંતુ સિવિલમાં અરજી કરવાનું કહેવાય છે. કોરોનાના દર્દી કે મૃતકનાં સગાંને કેસપેપર ન આપવા અંગે રાજ્યભરની સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓને પૂછવામાં આવ્યું હતું.

વડોદરા: સયાજી, ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ફાઈલ અપાતી નથી
વડોદરાની બે મોટી હોસ્પિટલો સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીની શું સારવાર કરાઈ તેની ફાઈલ અપાતી નથી. સારવાર બાદ એક ડિસ્ચાર્જ કાર્ડ અપાય છે, જેમાં દર્દીનું નામ, વય, રોગનું નિદાન, ચેસ્ટ એક્સરે રિપોર્ટ, રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ, એની તારીખ સહિતની વિગતો હોય છે. ઉપરાંત દર્દીને કયાં ઇન્જેક્શન, દવા અપાયાં એ સિવાયની બાયોકેમિકલ અને ઇન્ફલેમેટરી પ્રોફાઈલ પણ હોય છે. સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. આર. બી. શાહે જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ કોરોના સહિતના તમામ રોગોના કેસપેપરની ફાઈલ હોસ્પિટલમાં જ રખાય છે. જો કોઈ દર્દી કે પરિવારજનોને તેની ફોટોકોપી કઢાવવી હોય તો એની છૂટ આપીએ છીએ. આ ફાઈલ 10 વર્ષ સુધી હોસ્પિટલમાં રખાય છે.

રાજકોટ: સિવિલમાં સાદા કાગળમાં અરજી કરો તો ફાઇલની ફોટોકોપી મળે
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોવિડ વોર્ડના જે કોઈના પણ સ્વજનનું મૃત્યુ થયું હોય તે પરિવારે તબીબી અધીક્ષકને સાદા કાગળમાં અરજી કરવાની રહે છે. અરજી મળ્યાના એક સપ્તાહમાં ફાઇલની ફોટોકોપી આપવામાં આવે છે. દર્દીના તમામ રેકોર્ડ સાચવવા તેમ જ કોવિડ વોર્ડમાં વપરાયેલી ફાઈલ બહાર ન કાઢી શકાય એ માટે આ નિર્ણય શરૂઆતથી જ અમલી છે.

સુરત: સરકારની પોલિસી પ્રમાણે આ રેકોર્ડ ઓફિસમાં જ રખાય છે
સુરતની નવી સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડો. રાગિણી વર્માએ કહ્યું હતું કે સરકારની પોલિસી પ્રમાણે દર્દીની સારવારનો રેકોર્ડ ગવર્નમેન્ટ હોસ્પિટલની રેકોર્ડ ઓફિસમાં રાખીએ છીએ. જો કોઈ દર્દીને કોઈ કારણથી જરૂર હોય તો એપ્લિકેશન લઈ કોપી કરીએ છીએ, પણ કાયદાકીય રીતે એ હોસ્પિટલનો રેકોર્ડ કહેવાય. જો કોઈ દર્દી સારવાર દરમિયાન અન્ય હોસ્પિટલમાં જાય ત્યારે ગાયનેક જેવા કેસમાં ઇન્વેસ્ટિગેશનના ડોક્યુમેન્ટ્સ આપી જ દઈએ છીએ.

અરજી કરી, પણ ડોક્યુમેન્ટ ન મળ્યા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વિષ્ણુસ્વામી જશુબેન દાખલ થયાં હતાં. તેમને સમરસમાં શિફ્ટ કરાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જશુબેન હેલ્થવર્કર હતાં. તેમના દીકરાએ સહાય મેળવવા ડોક્યુમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં અરજી કરી હતી, પરંતુ તેમને ડોક્યુમેન્ટ ન મળ્યા. પીયૂષભાઈએ જણાવ્યું હતું કે તેમને એપ્લિકેશન કર્યાના 10 દિવસમાં તો ડોક્યુમેન્ટ ન મળ્યા, પરંતુ સિવિલમાંથી ફોન આવ્યો કે ફરી વખત તમારે અરજી કરવી હોય તો કરો. જો હું બીજી વખત ડોક્યુમેન્ટ મેળવવા અરજી કરું તો જે સહાય મેળવવા માટે અરજી છે એનો સમય ચાલ્યો જાય.

દર્દી માટે કેસપેપર સૌથી મોટો પુરાવો
હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી માટે સૌથી મોટો પુરાવો એના કેસપેપર જ હોય છે. દર્દી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેનો ઇન્ડોર કેસ નીકળે, ત્યાર બાદ દર્દી જ્યાં સુધી દાખલ રહે ત્યાં સુધી સારવારની વિગત, ડોક્ટરોના ઓબ્ઝર્વેશન એમાં નોંધાતાં હોય છે. દર્દી ડિસ્ચાર્જ થાય ત્યારે રેફરન્સ માટે રિપોર્ટ સહિતના કેસ પેપર અચૂક સુપરત કરાય છે.

વળતરથી બચવા કારણ છુપાવાય છે!
જાણકારોનો તર્ક છે કે, ફ્રન્ટલાઇન અને હેલ્થકેરવર્કર્સ માટે સરકારે વળતરની જાહેરાત કરી છે ત્યારે આવા સંજોગોમાં દરેક મૃતકના કેસપેપર કે ડેથ સ્લિપમાં મોતનું કારણ કોરોના બતાવાય તો વળતર આપવાનો પણ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. આ હિસાબે કોરોનાના મૃતકોની સંખ્યા પણ વધે નહીં એ માટે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવે છે.

માત્ર ડિસ્ચાર્જ કે ડેથ કાર્ડ જ અપાય છે
દરેક કેસમાં એક બાબત કૉમન હતી. દરેકના ફોર્મ પર દર્દીના સગાની ગેરહાજરીની નોંધ હતી. મૃત્યુ પહેલાં અનેક દર્દીએ પરિવાર સમક્ષ હોસ્પિટલ-તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.


No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot