૧૪મી ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૮માં એક ધારાસભ્ય એક સપ્તાહમાં વધુમાં વધુ ત્રણ જ પ્રશ્નો પુછવાનું જાહેર કર્યા બાદ ”અતારાંક્તિ પ્રશ્નોમાં છેલ્લા પાંચ વર્ષની માહિતી માંગતા પ્રશ્નોને બદલે છેલ્લા ત્રણ વર્ષની માહિતી માંગતા પ્રશ્નો દાખલ થશે” એવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે.
”સવાલ, જવાબદેહિતા એ લોકતંત્રનો આત્મા છે” આ વિધાનો સ્વતંત્ર ભારતના નિર્માણથી થતા રહ્યા છે. જો કે, હવે ગુજરાતમાંથી પ્રશ્ન પુછવા પર પાબંધી લાદી ભારતીય લોકતંત્રનો લોપ કરાઈ રહ્યો છે. વિધાનસભામાં ”જેની જેટલી સંખ્યા તેનો તેટલો સમય” આ સિધ્ધાંત પછી આસ્તે આસ્તે ધારાસભ્યમાં લોકો દ્વારા નિહિત અધિકારોમાં કાપ મુકાઈ રહ્યો છે.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલા નિર્ણયો સંદર્ભે સચિવ ડી.એમ.પટેલે ગત સપ્તાહે એક પત્રક પ્રસિધ્ધ કર્યુ છે. જેમાં અત્યાર સુધી ધારાસભ્યો છ માસના સમયગાળા બાદ પ્રશ્નો પુછી શકાતા હતા તે વધારીને હવે એક વર્ષ કરાયો છે. જ્યારે અતારાંકિત પ્રશ્નોમાં છેલ્લા પાંચ વર્ષની માહિતી ઘટાડી ત્રણ વર્ષ કરાઈ છે.
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના નિર્ણયને ન્યાયોચિત ઠેરવવા માહિતી ભેગી કરવામાં અધિકારીઓનો શ્રમ અને સરકારી ખર્ચનું કારણ આગળ ધર્યુ છે. જો કે, ફેક્સ, પોસ્ટ અને ટપાલના સમયે પણ આવી સ્થિતિ નહોતી. હવે તો ટેકનોલોજીનો યુગ છે ત્યારે તંત્ર એક જ દિવસમાં માહિતી એકત્ર કરીને જવાબ તૈયાર કરવા સક્ષમ છે.
પાંચ વર્ષની માહિતી અને તુલનાથી સરકારની પોલ, નિષ્ફળતા ઉઘાડી પડી રહી છે ત્યારે જવાબદેહીતાથી મોં સંતાડવા ધારાસભ્યોના પ્રશ્ન પુછવાના અધિકાર પર ઘા કરાયો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે.
No comments:
Post a Comment