ખેડૂત તરીકેની ખરાઈ માટે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના ખિસ્સામાંથી રૂ. ૧૧૦ કરોડ અને તેમના પરિવારના પાંચ સભ્યો ગણીએ તો ૫૫૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલશે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના હમણાં જ જાહેર કરાયેલા પરિપત્રને ટાંકી ગુજરાત કોંગ્રેસે સોમવારે જણાવ્યું કે, રાજ્યના ૫૪.૪૮ લાખ ખેડૂતોને ખેડૂત ખરાઈ પ્રમાણ પત્ર મેળવવાનું રહેશે
એક અરજી માટે બે હજાર લેખે ફી સંબંધિત જિલ્લાના ઈ-ધરાફંડમાં જમા કરાવવાની રહેશે એટલે કે ખેડૂત તરીકેની ખરાઈ માટે ભાજપ સરકાર ૧૧૦ કરોડ અને તેમના પરિવારના પાંચ સભ્ય ગણીએ તો ૫૫૦ કરોડ વસૂલશે, આ બાબત કેટલે અંશે વાજબી છે?
કમોસમી વરસાદમાં ૧૮ જેટલા તાલુકાના ખેડૂતો સીધો ભોગ બન્યા હોવા છતાં સરકારે એક પણ રૂપિયાની સહાય ચુકવી નથી તેવો આક્ષેપ કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યું કે, કૃષિક્ષેત્રનું યોગદાન ૧૫.૫ ટકા છે ત્યારે ખેડૂતને મજબૂત કરવાને બદલે ભાજપા સરકાર એક પછી એક ખેડૂત, ખેતી અને ગામડાંને તોડવાની યોજના આપી રહી છે.
આ નીતિના કારણે ખેડૂત મજબૂર અને ભાજપના મળતિયા મજબૂત બની રહ્યા છે. વર્ષ ૨૦૦૮ સુધી ગામ રેકર્ડ મેન્યુઅલ થતા હતા એટલે કે તલાટી હસ્તક આ કામગીરી હતી, ૨૦૦૮ પછી ગામ નમૂનાઓ કોમ્પ્યુટરાઈઝડ થતાં ૭-૧૨ એટલે કે પાણી પત્રકની જવાબદારી સરકારની હોવી જોઈએ, જેમ કે તલાટી-ગ્રામ સેવક દ્વારા ખેડૂતોના પાકનો સર્વે કરી કયા પાકનું વાવેતર કર્યું છે તેની નોંધ કમ્પ્યુટર રેકર્ડમાં થવી જોઈએ તેના બદલે આ જવાબદારી ખેડૂતને સોંપી દેવામાં આવી છે, જેનાથી ખેડૂત વાવેતર કરેલા પાકની નોંધ ૭-૧૨માં કરવાનું ચૂકી જાય અને આવું સતત ત્રણ વર્ષ સુધી બને તો તેમની જમીન સરકારી પડતર ગણી સરકાર હસ્તક લેવાય છે, સરકારે ગંભીરતાથી કામગીરી નિશ્ચિત કરવી જોઈએ.
No comments:
Post a Comment