Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, September 30, 2020

અમદાવાદ જિલ્લાકક્ષાના માતા યશોદા એવોર્ડ થકી સાણંદના બે બહેનોને સન્માનિત કરાશે.


 

        ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે  હંમેશા કટિબદ્ધ છે. અને આ દિશામાં ગુજરાતમાં પરિણામલક્ષી નક્કર પગલાંઓ પણ લેવામાં આવ્યા છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બને આરોગ્યપ્રદ જીવન જીવે તથા વહીવટી તેમજ નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થાય તે માટે વિવિધ વિભાગોની યોજનાઓમાં મહિલા કલ્યાણને  વિશેષ પ્રાધાન્ય આપવામાં  આવી રહ્યુ  છે.

        બાળ જન્મથી લઈને જીવનનાં અનેક પડાવ માટે કાર્યરત આંગણવાડીની બહેનો દ્વારા બાળકો, કિશોરીઓ મહિલાઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર, આરોગ્યલક્ષી માર્ગદર્શન આપીને  ગુજરાતની આવતીકાલને ઉજ્જવળ બનાવવાનું ભગીરથ કાર્ય ICDS ના બહેનો કરી રહ્યા છે. જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની મુખ્ય ચાવીરુપ  ભૂમિકાને યશ આપવો જ રહ્યો.

        ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી માનવીના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સશક્ત નારી તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ-દેશ રોશન’’ના સંકલ્પને ચરિર્તાથ કરવા સુપોષણ અભિયાનની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકજાગ્રુતિના ભાગરૂપે આંગણવાડીની બહેનો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. અને જે ઉત્તમ કામગીરી કરે છે તેનું સન્માન કરવું તે આપણી ભારતીય પરંપરા છે.

        રાજય સરકાર દ્વારા ખુબ જ સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. આઇસીડીએસમા આંગણવાડી કાર્યકર અને તેડાગર એ કચેરી વચ્ચેની અગત્યની કડી છે. તેઓને પ્રોત્સાહિત કરવા માટે અને ICDS ની સેવાઓની પહોંચને મજબુત કરવા અમદાવાદ સ્થિત ટાગોર હોલ ખાતે ૨ ઓક્ટોબરના રોજ યોજાનાર સમારોહમાં વર્ષ ૨૦૧૮-૧૯ માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાશે.

       



અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ ઉતામ કામગીરી કરનાર સાણંદ તાલુકાની આ વર્ષે પસંદગી કરવામાં આવી છે. જેનાં ધટક -૧ ની આંગણવાડી સંભાળનાર શ્રીમતી અલકાબહેન પટેલને શ્રેષ્ઠ કાર્યકર તરીકે રૂ. ૩૧,૦૦૦/- અને તેડાગર તરીકે શ્રીમતી હંસાબહેન રહેવરને રૂ. ૨૧,૦૦૦/-નો રોક્ડ પુરસ્કાર સાથે માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે.

        પોતાની કામગીરી પ્રત્યે હરખ વ્યકત કરતા અલકાબહેન કહે છે કે ‘’ અમે બંને બહેનો ૭ વર્ષથી આ આંગણવાડી સાથે જોડાયા છીએ, અને વખતોવખતની માર્ગદર્શિકા અનુસાર અમો અમારી કામગીરી સુપેરે નિભાવીએ છીએ. ગયા વર્ષે નંદઘરમાં ૫૦ બાળકો હતા, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમનું પાયાનું ઘડતર કરવાની અમને આ સરસ તક મળી છે. ગામની દરેક કિશોરીઓ, મહિલાઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને તથા બાળકોને પોષણયુકત આહાર સાથે યોગ્ય માર્ગદર્શન મળે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અને સરકાર તરફથી પુરક પોષણ આહાર તરીકે આપવામાં આવતા પ્રીમિક્ષ લોટમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવડાવીને તેની હરિફાઇ પણ રાખવામાં આવે છે.’’ 

આંગણવાડીમાં આવતા બાળકોને કેવા પ્રકારની વિશેષ પ્રવ્રુતિઓ કરાવો છો એ વિશે જણાવાતા તેઓ કહે છે કે  ‘’અમે નંદઘરમાં તમામ તહેવાર અને દિન-વિશેષની ઉજવણી કરીને વિવિધ રમતો સાથે બાળકોને તેનાથી સમજણ આપીએ છીએ. જેમાં સમૂહ ભાવના વિકસે તે માટે સમૂહમાં પ્રાથના, ગાન રમતો સાથે ભણતર કરાવીએ છીએ. ‘’  

        હાલ કોરોનાની મહામારીના કપરા સમયમાં ઘરે-ઘરે જઇને બાળકો, સગર્ભા માતાઓ અને ઘરનાં તમામ સભ્યોનો  COVID 19 નો સર્વે  આંગણ્વાડેના બહેનો દ્વારા જ કરવામાં આવ્યો હતો એ વિશે જણાવતા  અલકબહેન જણાવે છે કે ‘’ અમદાવાદ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગની સાથોસાથ આઇ.સી.ડી.એસ વિભાગની આંગણવાડી બહેનો  ખભેખભા મિલાવી કામગીરી કરી રહી છે. સાણંદ તાલુકાના  તમામ ગામનો સર્વે આંગણવાડીની  બહેનો તથા આરોગ્ય શાખાની આશા વર્કસ બહેનોએ સાથે રહીને કરેલ છે. જેમાં દરેક બહેનોએ ટીમ બનાવીને દરેક ઘરે જઇને લોકોનું ટેમ્પરેચર માપવાનું, ખાસી, શરદી, તાવ શરીરમાં દુઃખાવો, શ્વાસમાં મુશ્કેલી પડતા વ્યક્તિઓની વિગતોનો સર્વે હાથ ધર્યો હતો અને કોરોના અંગે સાવચેતી કેવી રીતે રાખવી તે અંગે સમજણ આપવામાં આવી હતી. મહામારીથી બચવા માટે સ્વચ્છતા જાળવે,સાબુ-સેનીટાઇઝરથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, ભીડમાં ન જવું-કામ વિના બહાર ન જાય, ગરમ પાણી પીવે. જેવી સલાહ આપી લોકજાગૃતિનું કામ પણ અમારી બહેનોએ કર્યું છે. સર્વે દરમ્યાન જો કોઇને કઇ બિમારી હોય તો આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા મોકલવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર  દ્વારા અપાયેલ ઉકાળા, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ નિયમિત રીતે  લોકો પીવે તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથેસાથે બાળકો અને વૃધ્ધોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ સાથે દરેક ઘરનો સર્વે થયા બાદ તે ઘરને નંબર આપવામાં આવ્યો છે તથા ફરી વાર તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે. કોવિડ સેન્ટર પર જે નગરિકોને ટેસ્ટ કરાવવો હોય તે ફ્રી માં ટેસ્ટ કરાવી શકે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી, જેવી પ્રાથમિક માહિતી આંગણવાડી થકી પુરી પાડવામાં આવી હતી.’’

        મહિલા સશક્તિકરણ અને બાળકોના વિકાસ અને પોષણ માટે આંગણવાડીના બહેનો સતત સક્રિય રહે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઘટક અને જીલ્લા લેવલે માતા યશોદા એવોર્ડ એનાયત કરે છે.જેમા રાજય કક્ષાએ માતા યશોદા એવોર્ડની રકમ રૂ. પ૧૦૦૦/-, જીલ્લા કક્ષાએ રૂ.૩૧૦૦૦/- અને ઘટક કક્ષાએ રૂ.૨૧૦૦૦/- ‌તેમજ આંગણવાડી કેન્દ્રોમા રહેલા હેલ્પર-તેડાગર બહેનને રૂ.૧૧૦૦૦/-ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં અને શહેરી વિસ્તારોમાં પણ આપવામાં આવે છે. આ માટેના મૂલ્યાંકન માટેના માપદંડો નીચે પ્રમાણે છે.

          આંગણવાડી કેન્દ્રનો ગ્રેડ

          આંગણવાડી કેન્દ્રમાં આવરી લેવામાં આવેલ લાભાર્થીઓ અને તેની યાદી

          પૂરક પોષણ મેળવેલ લાભાર્થીઓ

          આરોગ્યને લગતી સેવાઓ મેળવેલ લાભાર્થીઓ

          બાળકોનો વૃઘ્ઘિ આલેખ•રજીસ્ટર અને પત્રક

          અગત્યના દિવસો અને સપ્તાહની ઉજવણી

          સમુદાયની ભાગીદારી

          આઇસીડીએસની સેવાઓનું અમલીકરણ

          આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની કામગીરી - આમ એવોર્ડ વિવિઘ

         પ્રવૃત્તિઓના આઘારે આપવામાં આવે છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot