Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, November 26, 2020

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં મોડી રાત્રે લાગી આગ


 રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે  જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. જે પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.’ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ત્યાર બાદ ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. થોડીવાર સુધી શું કરવું કે શું ન કરવું એની ખબર જ ના પડી. થોડીવારમાં જ અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરો દોડી આવ્યા. અમુક બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી

મૃતકોનાં નામ

  • રામશીભાઈ
  • નીતિનભાઈ બાદાણી
  • રસિકલાલ અગ્રાવત
  • સંજય રાઠોડ
  • કેશુભાઈ અકબરી

રાજકોટ માટે દુઃખદાયક ઘટનાઃ વિપક્ષના નેતા
આ મામલે RMCના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા જણાવે છે કે ‘પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની ફાયરની સુવિધા હતી, પરંતુ તેઓ ફાયર સિસ્ટમ કરી શક્યા નહીં કે તેમને ઉપયોગ કરતા આવડ્યું નહીં. આ સમગ્ર ઘટના રાજકોટ માટે દુઃખદાયક છે.’

બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાઃ ડીસીપી
આ મામલે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજા જણાવે છે કે ‘હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગી લાગી હતી. હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય વોર્ડમાં હાજર 22 જેટલા દર્દીને ઉદય હોસ્પિટલની બીજી બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા છે.

અગ્નિકાંડની ટાઇમલાઇનઃ કેટલા વાગે કઈ ઘટના બની એનો અહેવાલ
12.15 વાગ્યે ICU વિભાગના મશીનમાં શોર્ટસર્કિટ થતાં ભીષણ આગ લાગી.
12.20 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો.
12.30 વાગ્યે વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા.
12.35 વાગ્યે હોસ્પિટલમાંથી ડોક્ટરો સહિતનો સ્ટાફ દોડી આવ્યો અને બારીના કાચ તોડી દર્દીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.
12.45 વાગ્યે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
1.00 વાગ્યે 11 દર્દીને બચાવી લેવાયા, 3 દર્દીનાં મોત નીપજ્યા.
1.15 વાગ્યે ગંભીર રીતે દાઝેલા વધુ 2 દર્દીએ દમ તોડ્યો, મૃત્યુઆંક 5 થયો.
1.30 વાગ્યે મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot