Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 24, 2020

‘આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છે


 

વિધાનસભાઓમાં થતી ચર્ચાઓ આપણા નાગરિકોની આકાંક્ષાઓને

પ્રતિબિંબિત કરે છે’: લોકસભા અધ્યક્ષ

* * * * *

ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની પૂર્વસંધ્યાએ લોકસભા અધ્યક્ષે આશા વ્યક્ત કરી કે આ કોન્ફરન્સ વિધાનસભાઓની અસરકારક કામગીરી માટેની દિશા પ્રસ્થાપિત કરશે

* * * * *

આજે અમદાવાદ પહોંચેલા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મીડિયાકર્મીઓની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ કેવિડયા ખાતે 25 અને 26 નવેમ્બર, 2020 દરમિયાન આયોજિત 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે રવાના થયા છે.

 

શ્રી બિરલાએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સનું ઉદઘાટન 25 નવેમ્બર, 2020ના રોજ સવારે 11.00 વાગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન શ્રી એમ. વૈંકૈયા નાઇડુ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

 

તેમણે જણાવ્યું હતું કે તમામ રાજ્ય વિધાનસભાઓ અને વિધાનપરિષદોના પ્રિસાઇડિંગ ઓફિસરોને આ કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભાઓ અને વિધાનપરિષદના 27 પ્રિસાઇડિંગ ઓફિસર્સે આ આ કોન્ફરન્સમાં હાજર રહેવા અંગેની પુષ્ટિ કરી છે. રાજ્ય વિધાનસભાઓના સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ કોન્ફરન્સમાં જોડાશે તેવી અપેક્ષા છે.

 

શ્રી બિરલાએ કહ્યું હતું કે 26 નવેમ્બર ભારતની લોકશાહીના ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ તારીખ છે, કારણ કે આ દિવસને ભારતમાં બંધારણ દિવસતરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના શતાબ્દી વર્ષ તરીકે પણ ઊજવવામાં આવી રહ્યું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શરૂઆત વર્ષ 1921માં કરવામાં આવી હતી. આ વર્ષો દરમિયાન, લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે નવા અનુભવો અને વિચારોની આપ-લે કરવા આ કોન્ફરન્સ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.

 

આ વર્ષની કોન્ફરન્સનું થીમ છે, ‘હાર્મોનિયસ કો-ઓર્ડિનેશન બીટવીન લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડીશિયરી- કી ટુ અ વાયબ્રન્ટ ડેમોક્રસી’ (સબળ લોકશાહી માટે વિધાયિકા-કાર્યપાલિકા તથા ન્યાય પાલિકાના આદર્શનો સમન્વય). કોન્ફરન્સની આ થીમનો ઉલ્લેખ કરીને શ્રી બિરલાએ જણાવ્યું હતું કે, વિધાનસભાઓના પ્રિસાઇડિંગ ઓફિસર્સે લોકશાહીના ત્રણ સ્તંભોની વચ્ચે વધુ સારો સહયોગ અને સંકલન સાધવા માટેની આવશ્યકતાની ચર્ચા કરવી જોઇએ, જેથી ભારતીય લોકશાહીને વધુ મજબૂત કરી શકાય અને તેને વધુ અસરકારક બનાવી શકાય.

 

લોકસભા અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમાપન સત્રમાં સંબોધન કરશે. શ્રી બિરલાએ જણાવ્યું કે 71મા બંધારણ દિવસે, પ્રિસાઇડિંગ ઓફિસર્સ બંધારણીય મૂલ્યો અનુસાર વિધાનસભાઓને વધુ મજબૂત અને સશક્ત બનાવવાની સાથે તેમને વધુ જવાબદાર બનાવવાની શપથ લેશે. આ ઉપરાંત, કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના બંધારણની પ્રસ્તાવનાનું પણ પઠન કરશે.

 

આપણું બંધારણ આપણી લોકશાહીને વધુ મજબૂત કરે છે અને તેના દ્વારા સંસદીય લોકશાહીમાં નાગરિકોનો વિશ્વાસ વધુ સુદ્રઢ કરે છે, આ વાત જણાવીને શ્રી ઓમ બિરલાએ કહ્યું કે જનતાને મોટા પ્રમાણમાં અસર કરે તેવા મુદ્દાઓ ઉઠાવવા માટે વિધાનસભાઓ સર્વોચ્ચ મંચ છે. પોતાના સંબંધિત ગૃહની જમીન પર જનતાની લાગણીઓને અવાજ આપવો એ જનપ્રતિનિધિઓની એક મોટી જવાબદારી છે. શ્રી બિરલાએ એ વાત પર ભાર મૂક્યો કે, વિધાનસભાઓમાં થતી ચર્ચાઓ નાગરિકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને તેથી વિધાનસભાની કાર્યવાહીનું સંચાલન સરળ અને કોઇપણ વિઘ્નો વિનાનું હોય તે આવશ્યક છે.

 

શ્રી બિરલાએ એ બાબતે ખુશી વ્યક્ત કરી કે માનનીય રાષ્ટ્રપતિ, માનનીય ઉપરાષ્ટ્રપતિ અને માનનીય પ્રિસાઇડિંગ ઓફિસર્સે કોન્ફરન્સમાં પોતાના વિચારો રજૂ કરવાની સંમતિ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોન્ફરન્સમાં તેમની હાજરીથી પાર્લામેન્ટરી ફ્રેટરનિટીને ખૂબ લાભ થશે.

એક ડિક્લેરેશન (જાહેરનામું) ની સ્વીકૃતિ સાથે આ કોન્ફરન્સ સમાપ્ત કરવામાં આવશે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot