ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે એકતા રેલી યોજાઇ
ઐતિહાસિક દાંડી ખાતે આવેલા રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રાર્થના મંદિરથી સૈફિવિલા સુધી એકતા રેલી યોજવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં આવેલા દેશની આઝાદીના તીર્થસ્થાન ગણાતા અને દાંડીકૂચને લીધે વૈશ્વિક પ્રખ્યાત એવા દાંડી ગામમાં ઐતિહાસિક વારસાને ઉજાગર કરતાં આજના તથા આવનારી પેઢીને ગાંધીમૂલ્યો વિચારોમાંથી પ્રેરણા લઇ જીવનમાં અમલમાં મૂકી શાય તેવા શુભ આશય સાથે સરકારશ્રીએ ૧૬ એકર વિસ્તારમાં આશરે ૮૦ કરોડના ખર્ચે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક તૈયાર કરવામાં આવેલ છે. આ સ્મારકને માન. વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રને માટે ખૂલ્લું મૂકયું છે. આ સ્મારક વૈશ્વિક કોરોના મહામારીમાં બંધ હતું જે તા.૨૮/૦૯/૨૦૨૦ થી ફરીથી પ્રવાસીઓ માટે સલામતિના તમામ પગલાં સાથે ગુજરાત સરકારશ્રીના પ્રવાસન વિભાગ દ્વારા સપ્તાહમાં શનિવાર-રવિવવારની રજા સિવાય સવારના ૯-૩૦ થી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવેલ છે.
તા.૩૧ મી ઓકટોબરના રોજ ઐતિહાસિક દાંડી ગામ ખાતે સવારે ૯-૦૦ કલાકે પ્રાર્થના મંદિરથી મીઠા સત્યાગ્રહ સ્થળ તથા સૈફિવિલા સુધી મોટરસાયકલ તથા પદયાત્રા રેલી યોજાઇ હતી. જેમાં સરદાર પટેલ અમર રહો તેમજ મહાત્મા ગાંધીજીની જય ના નારા/સુત્રો સાથે એકતા યાત્રા કરીને દેશની એકતામાં સૂર પુરાવ્યો હતો. આ એકતાયાત્રામાં સલામતિ રક્ષકો, માર્ગદર્શક સેવક/સેવિકાઓ, બગીચા રક્ષક, સંવર્ધકો, સ્વચ્છતાગ્રાહીઓ તેમજ મુખ્ય કાર્યાલયના આશરે ૧૦૦ જેટલા સેવક-સેવિકાઓ જોડાઇને એકતાયાત્રાને સફળ બનાવી હતી.
આ ઉપરાંત દાંડીકૂચના ૨૧ સ્થળોએ જયાં મહાત્મા ગાંધીજીએ રાતવાસો કર્યો હતો તે દાંડીપથ યાત્રી નિવાસના ૨૧ સ્થળોએ પણ એકતાયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment