પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન બંધ રહ્યા બાદ આજે 2 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકાયું છે. જોકે આજે પહેલા દિવસે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે કોરોનાની ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરીને ભક્તોએ મહાકાળી માતાનાં દર્શન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા વ્યાપને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રશાસને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેને પગલે આસો નવરાત્રિ દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢ બંધ રહ્યું હતું.
પાવાગઢમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવાયો
પાવાગઢ મંદિરના દ્વાર આજે સવારે 6 વાગ્યે ખૂલી ગયા હતા અને ત્યાર બાદ ભક્તોએ આરતીમાં ભાગ લીધો હતો. સવારે 8 વાગ્યે રોપવે પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજથી પાવાગઢ મંદિર ખૂલ્યું છે, ત્યારે પાવાગઢમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આસો નવરાત્રિમાં પણ પાવાગઢ મંદિર બંધ રહેતાં 400થી વધુ વેપારીઓની સ્થિતિ કફોડી બની ગઇ હતી. પાવાગઢ ડુંગર પર નાળિયેર-પ્રસાદ, હોટલ અને ચા-નાસ્તાના વેપાર ઠપ થઇ ગયા છે. તેમનો નાળિયેર સહિતનો લાખો રૂપિયાનો સામાન પણ વેચાયા વિના જ પડી રહ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે હવે પાવાગઢ મંદિર ખૂલતા જ વેપારીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
આ પહેલાં પાવાગઢ મંદિર 111 દિવસ બંધ રહ્યું હતું
આ પહેલાં દેશભરનાં 64 શક્તિપીઠ પૈકીનું એક એવા પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર લોકડાઉનથી અનલોક સુધી 111 દિવસ બંધ રહ્યું હતું. કોરોનાના કહેર અને વિકાસનાં ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેને પગલે પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રિમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું હતું.
No comments:
Post a Comment