Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, September 17, 2020

ખેડૂતોની આવક અને સુખાકારી વધારવા સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અભિયાનને સરકારે શુભારંભ કરાવ્‍યો સાત પગલાં ખેડૂત કલ્યાણના... અભિયાન ખેડૂતો માટે વિકાસના નવા સોપાનો સર કરશે -રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી

 



ચીખલી તાલુકાના સુરખાઇ મુકામે રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને

સાત પગલા ખેડૂત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

      નવસારી-ગુરુવાર-  નવસારી જિલ્‍લાના ચીખલી તાલુકાના સુરખાઇ મુકામે સાત પગલા ખેડૂત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ આરોગ્‍ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

         આ પ્રસંગે મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેમજ ખેડૂતો આત્‍મનિર્ભર બને તે માટે સરકારશ્રી દ્વારા વિશાળપાયે અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. ખેડૂતોની આવક અને સુખાકારી વધારવા આ સરકારે સાત પગલા ખેડૂત કલ્‍યાણના અભિયાનની આજે દેશી ગાય નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કિટ સહાય યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવી છે. તેમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સરકારશ્રીના ખેડૂતહિતલક્ષી નિર્ણયો, યોજનાઓ, ઉદાર સહાય અને ધરતીપુત્રોની મહેનતને પરિણામે આપણું ગુજરાત કૃષિ ઉત્‍પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર અને પ્રેરણાદાયી રાજય બન્‍યું છે તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણના..’’ અભિયાન ખેડૂતો માટે આશીર્વાદરૂપ નિવડશે.

         મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ કહયું હતું કે, આ સરકાર ખેડૂતો, ગરીબો અને વંચિતો સહિત સૌના કલ્‍યાણ માટે સમર્પિત સરકાર છે. સરકારના આ ઉદાર અભિગમ અને સક્રિય પ્રયાસોને લીધે રાજયમાં તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં કહયુ હતું કે, સંવેદનશીલ અને લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજના અમલી બનાવી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા સીમાંત બધા ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું પ્રિમિયમ પણ ભરવાનું નથી.

  મંત્રીશ્રી કાનાણીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત આજે વિકાસનો પર્યાય બન્યું છે તેની પાછળ સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય તો એ કૃષિ અને ઉદ્યોગના સમતોલ વિકાસનું છે. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૯૫-૯૬માં ગુજરાતનું કુલ કૃષિ ઉત્પાદન રૂ. ૧૩,૪૯૧ કરોડનું હતું જે આજે વધીને ૧ લાખ ૭૦ હજાર કરોડ ઉપર પહોંચ્યું છે એટલે કે કૃષિ ઉત્પાદનમાં ૧૨ ઘણો વધારો થયો છે.  ભૂતકાળમાં ગુજરાતના ખેડૂતો ૧૬ ટકાના દરે પાક ધિરાણ લઈ વ્યાજ ભરીને ત્રાહીમામ પોકારી જતા હતા. આજે ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ અપાય છે.

આ અવસરે જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અભિયાન, ખેડુતોની મહેનત અને કૃષિ વૈજ્ઞાનિકોના નવા સંશોધનોથી છેલ્લા દોઢ બે દાયકામાં ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી નિર્ણય કર્યો છે. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઈઝના વાહન ખરીદવા માટે સહાય આપવાની આ સરકારે શરૂઆત કરી છે. ફળ, શાકભાજીનું છૂટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની આ સરકારે યોજના અમલમાં મુકી છે. તેમણે કહ્યું કે, ઓછી આર્થિક ક્ષમતા ધરાવતા સીમાંત ખેડૂતો અને ખેત કામદારોને યાંત્રિકીકરણનો લાભ આપી અદ્યતન હેંડટુલ કિટ પુરી પાડવાની યોજના અમલમાં મુકી છે.

કાર્યક્મ દરમિયાન મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા   વિજયભાઇ રૂપાણીએ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે ખેડૂતોને મંજુરીપત્રો /હુકમો, બેસ્‍ટ આત્‍મા ફાર્મસ એવોર્ડના ચેક, મોમેન્‍ટો, સાલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. તેમજ કૃષિ ખેડુત કલ્‍યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ વિષયક ફિલ્‍મનું જીવંત પ્રસારણ કરવામાં આવ્‍યું હતું.જેને મોટીસંખ્‍યામાં ખેડૂતોએ રસપૂર્વક નિહાળી હતી.

        આ પ્રસંગે જિલ્‍લા કલેકટરશ્રીમતિ આર્દ્રા અગ્રવાલ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રીમતિ પ્રશસ્‍તિ પારીક, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભાણીબેન પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્‍યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot